પરમેશ્વર દત્તગુરુ અને આદિમાતા જગદંબાના ભક્તિભાવ ચૈતન્યમાં નિરંતર રહેનારા સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધ બાપુ (ડૉ. અનિરુધ્ધ ધૈર્યધર જોશી) એ ઇ.સ.૧૯૯૬થી વિષ્ણુસહસ્ત્રનામ, રાધાસહસ્ત્રનામ, રામરક્ષા, શ્રીસાઈસચ્ચરિત્ એવા અનેક મહત્વપૂર્ણ વિષયો પર આધારિત પ્રવચનની શરૂઆત કરી.
દુનિયાભરના અગણિત શ્રધ્ધાવાનો માટે બાપુ એક "સદ્ગુરુ" નું સ્થાન ધરાવે છે. સ્વયં એક આદર્શ ગૃહસ્થાશ્રમમાં રહીને બાપુ, ગૃહસ્થીમાં રહીને પણ પરમાર્થની પ્રાપ્તિ કરી શકાય છે, આ વાત સ્વયંના આચરણથી સમજાવે છે.
બાપુની છાત્રાવસ્થાથી લઈને આજ સુધી બાપુ પોતાના શ્રધ્ધાવાન મિત્ર, આપ્ત અને સાથે સાથે પીડિતો તથા ઉપેક્ષિતોના જીવનના દુ:ખ, કષ્ટ અને અંધકાર દૂર કરવા માટે, તેમનો વિકાસ સાધવા માટે અથાગ પ્રયાસ કરી રહ્યા છે અને આ જ તેમનો જીવનયજ્ઞ છે.
બાપુના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિને અનુભવવામાં આવતી મુખ્ય વાત એટલે કે "બાપુનો અનેક વિવિધ ક્ષેત્રો સાથે રહેલ સંબંધ, તેમની તે ક્ષેત્રોમાં રહેલી મહારત, નિપુણતા અને તે ક્ષેત્રોના વિશેષજ્ઞોને પણ અચંબિત કરનાર અથાગ જ્ઞાન.
ડૉ.અનિરુધ્ધ ધૈર્યધર જોશી (એમ.ડી. - મેડિસીન, હ્યુમેટોલોજીસ્ટ)ની વૈદ્યકીય પ્રેક્ટિસ દરમ્યાન અનેક લોકોનો તેમની સાથે નજીકનો સંબંધ રહ્યો છે.
પરેલગાંવ, લાલબાગ, શિવડી જેવા વિસ્તારમાં રહેતા કષ્ટકરી અને શ્રમજીવી વર્ગના તથા ગ્રામીણ વિસ્તારના ખેડૂતવર્ગના લોકોને, અતિશય ઓછી ફી લઈને અને ઘણીવાર તો ફી લીધા વગર જ બાપુ સારવાર આપતા હતાં.
બિમારીનું અચૂક નિદાન (ડાયગ્નોસિસ), સ્પષ્ટતાપૂર્વક મત, ક્યારેક સખત વલણ, પોતાના વ્યવસાય સાથે પ્રામાણિક રહીને, હકીકતમાં વ્યવસાયથી પરે જઈને દરેક સ્તરના દર્દીઓ અને સહકર્મીઓ સાથે બંધાયેલ આત્મીયતાના સંબંધનુ ધ્યાન રાખનારા ડૉ.અનિરુધ્ધના વિલક્ષણ, અસામાન્ય વ્યક્તિત્વની ઝલક બધાએ નિહાળી છે.
બધાને નિરપેક્ષ પ્રેમ કરનારા બાપુએ ક્યારેય કોઈની પણ ઉપેક્ષા કરી નથી, ક્યારેય કોઈને નિમ્ન માન્યાં નથી; તેમણે બધાનું ધ્યાન રાખીને દરેકના મનમાં રહેલ હીનભાવનાને ઓછી કરીને, દરેકને હંમેશા રાહત જ પ્રદાન કરી છે. આ વાતથી જ દરેક શ્રધ્ધાવાન અનુભવી શકે છે બાપુના મનમાં રહેલ દરેક વ્યક્તિ સાથેની આત્મીયતા, પોતાપણુ અને અથાગ-અસીમ નિ:સ્વાર્થ પ્રેમ.

આ છે બાપુ સાથે જોડાયેલ સંસ્મરણો. જેણે જેણે બાપુને એમના શાળાના જીવનથી લઈને વૈદ્યકીય પ્રૅક્ટિસના સમય દરમ્યાન નજીકથી જોયા, અનુભવ્યા અને જાણ્યા છે, એવા બાપુના શિક્ષક, સહધ્યાયી, મિત્ર, પાડોશી, દર્દી અને એમના કુટુંબીજનો, આ બધાને બાપુના અનોખા, વિલક્ષણ અને અસામાન્ય વ્યક્તિત્વની ઝલક અનુભવવા મળી, સાક્ષી બનવાની તક મળી, એમના આ સંસ્મરણો છે. બાપુ વિષેના એમના આ સંસ્મરણોનો સંગ્રહ એટલે જ ‘મેં જોયેલા બાપુ’ આ પુસ્તક.


ડૉ.અનિરુધ્ધ જોશીએ દૈનિક પ્રત્યક્ષમાં ૫ નવેમ્બર,૨૦૦૬માં પ્રકાશિત થયેલ "હું અનિરુધ્ધ છું” - આ અગ્રલેખમાં લખ્યુ હતું,

"આસપાસના માનવ અને પરિસ્થિતી ગમે તે પ્રકારની હોય, હું એવો જ રહું છું, કારણકે હું સદૈવ વર્તમાનકાળમાં જ રહું છું અને વાસ્તવનું ભાન ક્યારેય વિસરતો નથી. ભૂતકાળની અનુભૂતિ અને સ્મૃતિ માત્ર વર્તમાનકાળમાં અધિકાધિક સભાનતા પ્રાપ્ત થાય એ માટે જેટલી આવશ્યકતા હોય એટલી જ; અને ભવિષ્યકાળનું નિરીક્ષણ વર્તમાનકાળમાં સાવધાન રહેવા માટે જેટલુ આવશ્યક છે એટલું જ, આ મારી વૃત્તિ છે.”
આ વૃત્તિનું અનુકરણ કરીને ડૉ.અનિરુધ્ધએ જાગતિક ગતિવિધીનું અધ્યયન કરીને, ભારતીય સમાજને સાવધાન, સક્ષમ તથા સુસજ્જીત બનાવવા માટે દૈનિક પ્રત્યક્ષમાં તૃતીય મહાયુધ્ધ (તૃતીય વિશ્વયુધ્ધ) આ અગ્રલેખની માળા વર્ષ ૨૦૦૬માં લખી અને ત્યારબાદ તે મરાઠી, હિન્દી, અંગ્રેજી ભાષામાં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયેલ છે.
સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધજીના જીવનપ્રવાસમાં એક વાત નિત્ય, શાશ્વત છે અને તે છે - ‘બાપુ તથા બાપુનો નિ:સ્વાર્થ પ્રેમ’. આ નિ:સ્વાર્થ પ્રેમના કારણે જ બાપુએ પોતાના શ્રદ્ધાવાન મિત્રો માટે સ્વસ્તિક્ષેમ તપશ્ચર્યા કરી હતી.
આધ્યાત્મિક આધાર મજબૂત બનાવવા માટે નિયમિત સ્વરુપે ઉપાસના કરતા રહેવુ માનવ માટે આવશ્યક બની રહે છે પરંતુ આજના ભાગદોડભર્યા જીવનમાં સદૈવ પરેશાન કરતી ચિંતાઓના કારણે, દરેકથી આ ઉપાસનાઓ નિત્યનિયમિત સ્વરુપે થાય જ છે એવું નથી. પોતાના શ્રદ્ધાવાન મિત્રોના જીવનમાં રહેનારી ઉણપને સમજીને તેને પૂર્ણ કરવા માટે સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધજીએ વર્ષ ૨૦૧૧ના આસો માસમાં નવરાત્રિની શરુઆતથી અર્થાત ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૧થી સ્વસ્તિક્ષેમ તપશ્ચર્યાની શરુઆત કરી હતી.
સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધજીની આ સ્વસ્તિક્ષેમ તપશ્ચર્યા દિનરાત અવ્યાહતરુપે કાર્યરત હતી. આ તપશ્ચર્યાકાળમાં બાપુ "સ્વ”નું ભાન વિસરીને તેઓ પૂર્ણત: ચંડિકામાતાના અનુસંધાનમાં હતાં. સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધજીની તપશ્ચર્યા ત્રણ પ્રકારે કાર્યરત હતી - ૧) આદિમાતા ચંડિકાના "બ્રહ્મત્રિપુરસુંદરી’ સ્વરુપની ઉપાસના, ૨) બલા-અતિબલા ઉપાસના અને ૩) સાવિત્રી વિદ્યાની ઉપાસના તથા "શ્રીવિદ્યા’ ઉપાસના. બાપુની તપશ્ચર્યા માટે શ્રીઅનિરુધ્ધ ગુરુક્ષેત્રમ્માં "વિષમ-અષ્ટાસ્ત્રમ" વિશેષ યજ્ઞકુંડસ્થલ તૈયાર કરવામા આવ્યો હતો જેમાં બાપુએ વિશિષ્ટ હવનદ્ર્વ્ય અર્પણ કર્યા હતાં.
શ્રીહરિગુરુગ્રામમાં પોતાના પ્રવચન બાદ ઉપસ્થિત શ્રદ્ધાવાનોને નમસ્કાર કરનારા બાપુ સદૈવ -
"હું શ્રદ્ધાવાન ભક્તોનો સેવક છું’
આ જ ભૂમિકામાં રહે છે.
શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ પ્રથમખંડ "સત્યપ્રવેશ”માં બાપુએ સમજાવ્યું છે -
"પરમેશ્વરી તત્વો પર નિતાંત પ્રેમ અને અવિચલ શ્રદ્ધા રાખનારા દરેકનો હું દાસ છું.”
આવી જ રીતે ગ્રંથરાજમાં બાપુ કહે છે -
"હું યોદ્ધા છું અને જેને પોતાના પ્રારબ્ધ સાથે લડવુ છે તેમને યુદ્ધકળા શીખવવી એ મારો શોખ છે.”
”હું તમારો મિત્ર છું.”
સદ્ગુ્રુ શ્રીઅનિરુધ્ધના પંચગુરુ
સદ્ગુ્રુ શ્રીઅનિરુધ્ધ દ્વારા લિખિત ‘શ્રીમદ્પુથરુષાર્થ ગ્રંથરાજ’ દ્વિતીય ખંડ ‘પ્રેમપ્રવાસ’ માં એમણે પોતાના પંચગુરુઓનું વર્ણન કર્યુ છે, જે સંક્ષેપમાં આ પ્રમાણે છે :

દત્તગુરુ (પરમેશ્વર) (કરવીતા ગુરુ)
પરમેશ્વર એટલે સ્વયંસિધ્ધ અને સ્વયંપ્રકાશી ચેતનતત્વ. શ્રધ્ધાવાનો એમને જ ‘દત્તગુરુ’ તરીકે સંબોધે છે. સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધના પંચગુરુઓમાંથી પ્રથમ ગુરુ એટલે ‘દત્તગુરુ’ ; અર્થાત સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધના આનંદમય કોશના સ્વામી અને એમના કરવીતા (કરાવવાવાળા) ગુરુ. શ્રીસાઈસચ્ચરિતની આ પંક્તિઓનો સંદર્ભ આપીને સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધએ દત્તગુરુના મહત્વને સમજાવ્યુ છે.
દત્તગુરુ સારિખે પૂજ્ય દૈવત ! અસતાં સહજ માર્ગી તિષ્ઠત ! અભાગી જો દર્શન વર્જીત ! મી કાય પાવત તયાસી !!
શ્રીસાઈનાથના આ શબ્દો જ સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધના જીવનકાર્યની દિશા તથા શ્રીગુરુદત્તના ચરણો પ્રત્યેની એમની (સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધની) અવિચળ નિષ્ઠા છે.

ગાયત્રી (આદિમાતા) (વાત્સલ્યગુરુ)
‘ગાયત્રી’ એ જ આ મહન્મંગલ આદિમાતાનું પ્રથમ સ્વરુપ છે, આદ્યસ્વરુપ છે. ગાયત્રી સ્વરુપ કાયમ તરલ સ્તર પરથી જ કાર્યરત રહે છે. સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધના દ્વિતિય ગુરુ એટલે કે એમના વિજ્ઞાનમય કોશની સ્વામિની શ્રીગાયત્રીમાતા, એ જ એમની વાત્સલ્યગુરુ છે. પરબ્રહ્મની ‘હું પરામેશ્વર છું’ આ આત્મસંવેદના જ પરમેશ્વરી, આદિમાતા છે. એમને જ વેદોએ ‘ગાયત્રીમાતા’ એ નામથી સંબોધ્યા છે. આ ગાયત્રીસ્વરુપની કૃપા વડે જ મનુષ્ય કોઈપણ વિષયમાં જ્ઞાન-વિજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તેમજ ઉપયોગમાં લાવી શકે છે.

રામ (કર્તા ગુરુ)
સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધના તૃતીય ગુરુ અર્થાત પ્રભુ શ્રીરામ જ એમના મનોમય કોશના સ્વામી તથા કર્તા ગુરુ છે. તેમજ રામચરિત્ર જ મર્યાદાપાલનનું જીવતુ જાગતુ ઉદાહરણ છે.
શ્રીરામ જ ‘મર્યાદાપુરુષોત્તમ’ ના નામે પ્રખ્યાત છે.

હનુમંત (રક્ષક ગુરુ)
સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધના ચતુર્થ ગુરુ અર્થાત શ્રીહનુમંત જ એમના ‘રક્ષકગુરુ’ અર્થાત અદ્વિતીય મર્યાદારક્ષક છે. સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધના પ્રાણમય કોશના સ્વામી અને એમના રક્ષક ગુરુ શ્રીહનુમાનજી પોતાને પ્રભુ રામચંદ્રના દાસ કહેવડાવવામાં જ ધન્યતા માને છે અને શ્રીઅનિરુધ્ધ એ હનુમાનજીના દાસાનુદાસ કહેવડાવવામાં જ પોતાના જીવનકાર્યની ઈતિકર્તવ્યતા માને છે. ‘મર્યાદિત થી અમર્યાદિત અનંતત્વ’ , ‘ભક્ત થી ઈશ્વરત્વ’ નો પ્રવાસ કરવાવાળા એકમાત્ર શ્રીહનુમંત જ છે

સાઈ સમર્થ (દિગ્દર્શક ગુરુ)
સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધના પંચમ ગુરુ સાઈસમર્થ જ સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધના અન્નમય કોશના સ્વામી તથા એમના દિગ્દર્શક ગુરુ છે. શ્રીસાઈસચ્ચરિતની અનેક પંક્તિઓમાંથી અભિવ્યક્ત થતી શ્રીસાઈની વિનમ્રતા, લીનતા, શાલીનતા અને ઉચ્ચ નિરાભિમાનતા આ બધાનો સંદર્ભ આપીને સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધ ‘શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ’ દ્વિતીય ખંડ ‘પ્રેમપ્રવાસ’ (પૃષ્ઠ ક્ર.૩૬૫) માં કહે છે, ‘મારા અન્નમય કોશના સ્વામી અને મારા દિગ્દર્શક ગુરુ સાઈસમર્થ જો આ રીતે પોતાનો ભાવ પ્રગટ કરતા હોય, તો પછી ‘હું કોઈ શ્રેષ્ઠ છું’ એવું કહેવાનો મને નામમાત્ર પણ અધિકાર નથી, એવું હું નિશ્ચિત રુપે માનુ છું.