ભાગ ૧

અભ્યાસ કરતી વખતે, એ અભ્યાસના એકાદા વિશિષ્ટ માર્ગ અનુસાર, જે જે પ્રક્રિયા આપણા દરેકના મનમાં ઉદભવે છે, એ પ્રક્રિયામાં આપણે ક્યાંક અટકાઈ પડીએ છીએ. એવો ઘણાને અનુભવ છે. એ વિશે અનેક લોકોએ પ્રશ્નો કર્યા. શંકાઓનું નિરાકરણ માગ્યુ અને પોતાના પ્રશ્નો ઉદાહરણ સહિત સ્પષ્ટ પણ કર્યા કે અટકાઈ પડે છે એટલે નક્કી શું થાય છે? કોઈ એકાદી વાત અહીં પ્રવચનમાંથી કહેવામાં આવે ત્યારે સાંભળનારને એવું લાગે છે કે એ વાત એ સમયે બરાબર સમજાઈ ગઈ છે. પણ પાછળથી વિચાર કરતી વખતે ઘણાને લાગે છે કે આપણને એ સમજાઈ નથી અથવા તો પૂરેપૂરી સમજાઈ નથી કાં તો ખોટી રીતે તો સમજાઈ નથી ને? એક વાત યાદ રાખો કે અભ્યાસ એટલે ધોકંપટ્ટી કે પાઠાંતર નહીં. એકાદી બાબતની સીધેસીધી નકલ કરવી એટલે અભ્યાસ નહીં.

સંત જ્ઞાનેશ્વરે જે જ્ઞાનેશ્વરી લખી, એની જ જો આગળ જતાં નામદેવે નકલ કરી હોત અને પછી એમાંથી એકનાથે કૉપી મારી હોત તો આ આટલો મોટો ગ્રંથ સમુદાય તૈયાર જ થયો ન હોત. ઉપરાંત ગીતા લખાઈ એ પછી જ્ઞાનદેવને જ્ઞાનેશ્વરી લખવાની કોઈ જરુરત જ ઉભી થઈ ન હોત. માટે જ કોઈ વાતને સમજવી એટલે એ વાત જે કહી રહ્યું છે એના શબ્દોમાં, એ જ રીતે, એવી ને એવી જ અવગત થવી જોઈએ એવું બિલકુલ નથી. તો એ વાત આપણી પોતાની ભઠ્ઠીમાં ગરમ કરી, ઠંડી કરી, કુટી કુટીને વાટીને, એના ટુકડા કરીને પછી પોતાની મુશીમાં એને ભરીને, સાંચામાં ઢાળવી એ મહત્વની વાત છે. એમાં મારી બાજુમાં બેસેલાને વધુ સમજાયુ અને મને ઓછુ સમજાયુ એવો ભાવ કોઈએ રાખવો જોઈએ નહીં. એ વાત ધ્યાનમાં રાખવી. આ જ્ઞાનગંગા છે. આ વહેતી નદી છે. આ ખાબોચિયું કે એવું કોઈ તળાવ નથી કે જેને કોઈ વિશિષ્ટ સીમાઓ હોય, અને માટે એ સીમાઓના પરિઘમાં જ આપણે ફરતા રહેવાનું નથી. વહેતા વહેતા આ નદી દરેક કાંઠા પરના માણસને સુફલીત કરીને જ આગળ વધે છે. આ જ્ઞાનગંગા એટલે અનિરુધ્ધ ધૈર્યધર જોશી નહીં. તો પ્રત્યક્ષ શિવશંકરની જટામાંથી જે ઉગમ પામે છે એ આ જ્ઞાનગંગા છે. ‘શિવંમ જ્ઞાનેપદેષ્ટારમ!!’ જ્ઞાન માત્ર શિવ જ આપી શકે છે. કેમકે તેઓ આ ગંગાના ઉદગાતા છે. ગંગાના નિર્માણકર્તા છે અને ગંગાને વર્ધિષ્ણુ રાખનારા છે. આ જ્ઞાનગંગા અનાદી કાળથી આજદિન સુધી વેદોના રુપમાં અવિરત વહેતી જ આવી છે. એ જ્ઞાનગંગાને ક્યાંય સ્ટૅગ્નંસી નથી. કશે પણ એનું ખાબોચિયુ નથી બન્યુ. જેને લીધે એકાદી વાત જો છૂટી ગઈ તો પણ આગળના પ્રવાહમાં એ પાછી જોડાઈ જ જાય છે.

બીજો એક પ્રશ્ન મને વારંવાર પૂછવામાં આવે છે કે અમે એક ના એક વિચારોના વમળમાં અટવાયા કરીએ છીએ અને ક્યારેય અમને લાગે છે કે અમે કરીએ છીએ એ બરાબર છે કે ખોટુ છે? આ નિર્ણય દરેકે પોતાને જ લેવાનો હોય છે. હું કરુ છુ એ ખરું છે કે ખોટુ એ દરેકને બરાબર ખબર હોય છે. વ્યવહારિક જગતમાં એકવાર આપણને શું સાચુ શું ખોટુ એ કદાચ સમજાય નહીં...દા.ત. કોઈ જગ્યા ખરીદવી હોય તો એ ખરીદુ કે નહીં, આ ધંધો હું કરુ કે નહીં, આ છોકરી સાથે લગ્ન કરુ કે નહીં. આ પણ વ્યાવહારિક પ્રશ્નોમાં આપણે બરાબર કરી રહ્યા છે કે ખોટુ, એ સમજવામાં મુશ્કેલી પડી શકે છે. પણ અધ્યાત્મની બાબતમાં એવું નથી હોતુ. લોકો કહે છે એ ઠેકાણે એ લોકો કહે છે એટલે ખોટુ છે એવું માની લેવાની બિલકુલ આવશ્યકતા નથી. જે પરમેશ્વરી નિયમોને ધરીને છે એ બધુ સત્ય જ છે. હવે આગળ પ્રશ્ન એ થાય કે પરમેશ્વરી નિયમો કયા? એ સમજવું સાવ સહેલુ છે. આ પરમેશ્વરી સ્વરુપ કેવું છે એ આપણે જાણીએ છીએ? ‘સર્વ મંગલ માંગલ્યે’ એ પરમેશ્વરી સ્વરુપ કેવું છે? મંગલકારક છે. પોતે જ મંગલરુપ છે માટે જે જે કંઈ પવિત્ર છે, જે જે કંઈ મંગલ છે, જે ક્રિયાઓમાંથી ફક્ત પાવિત્ર્ય અને માંગલ્ય ઉત્પન્ન થાય છે, બાકી બીજું કંઈ જ ઉત્પન્ન થઈ શકતુ નથી, એ ખરુ સ્વરુપ પરમેશ્વરનું છે. નાની પણ સહેલી વ્યાખ્યા છે આપણી સામે. આપણે એ ધ્યાનમાં રાખવાનુ છે કે સઘળા અભ્યાસમાંથી આગળ વધતી વખતે આપણુ કંઈક છૂટી ગયુ છે માટે દોડાદોડી કરવાની આવશ્યકતા નથી કે પછી ત્યાં જ અટકી પડવાની કોઈએ આવશ્યકતા નથી; અને કોઈજ અટકી પડવાનું નથી એ યાદ રાખો. હવે આપણે આપણા વિષ્ણુસહસ્ત્રનામના અભ્યાસની શરુઆત કરીશું.

 ‘ૐ ભાવાય નમ:!’ ભાવ એટલે શું? અસ્તિત્વ. ખૂબ જ મહત્વની બાબત છે. ભાવ આ શબ્દનો મૂળ અર્થ જ અસ્તિત્વ છે. ‘ભાવ’ આ શબ્દ માટે એક કહેવત પણ છે ‘ભાવ ત્યાં જ દેવ’ કાં તો ‘ભાવ એ જ દેવ’ આપણે ઘણીવાર કહીએ છીએ કે ‘એ માણસનો સ્વભાવ જ એવો છે. જેને કોઈ બદલી શકતુ નથી.’ ‘મારો સ્વભાવ બદલવાનો મેં ખૂબ જ પ્રયત્ન કર્યો પણ મારો સ્વભાવ કંઈ બદલાયો નહીં’ ‘એ માણસના સ્વભાવનો બીજા પર ખૂબ જ પ્રભાવ પડે છે.’ આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. સ્વભાવ, પ્રભાવ, કે અભાવ આ શબ્દો ભાવ નામના શબ્દથી જ જોડાયેલા છે. એમ કહોકે એમાંથી જ ઉત્પન્ન થયેલા છે. ભાવ શબ્દનો અર્થ છે અસ્તિત્વ. સ્વ-ભાવ એટલે ‘સ્વ’નું અસ્તિત્વ. માણસનો સ્વભાવ એટલે એ માણસનો અહંકાર એ ધ્યાનમાં રાખો. ‘સ્વ’નું અસ્તિત્વ એટલે અહંકારનું અસ્તિત્વ, એટલે સ્વભાવ. અહંકાર વગર સ્વભાવ નિર્માણ જ થઈ શકે નહીં એ ધ્યાનમાં રાખો. જ્યારે કોઈપણ અસ્તિત્વ પોતાનું ગણવામાં આવે છે ત્યારે એ સ્વભાવ બને છે. જ્યારે કોઈપણ ભાવ આપણે પોતાનો સમજીને ધારણ કરીએ છીએ, ત્યારે એ આપણો સ્વભાવ અથવા વૃત્તીવિશેષ બને છે. જ્યારે પ્રકર્ષરુપે, સાતત્યતાથી આ ભાવ ઉત્પન્ન થાય છે, સંક્રમીત રુપે આગળ વધતો જાય છે ત્યારે એ પ્રભાવશાળી બને છે.

સાતત્યતાથી એ ભાવ ઉત્પન્ન થવો કે સાતત્યરુપે પ્રગટ થવો, એવો જે ભાવ છે એ પ્રભાવ છે અને જ્યારે એ અસ્તિત્વ ન હોય ત્યારે અભાવ હોય છે. પરમેશ્વરનું નામ કેટલુ સુંદર છે જુઓ. ‘ૐ ભાવાય નમ:’ અહીં પરમેશ્વરનું નામ જ શું છે? તો અસ્તિત્વ. પરંતુ આનો એક સુંદર અર્થ આપણે ધ્યાનમાં લેવા જેવો છે કે જે જે કંઈ અસ્તિત્વમાં છે, ત્યાં ત્યાં પરમેશ્વર છે અને પરમેશ્વર પોતે અસ્તિત્વરુપ હોવાને કારણે ‘એ નથી’ એવું ક્યારેય બનતુ નથી. ‘પરમેશ્વર નથી’ એવું ક્યારેય બનતુ નથી. પરમેશ્વર પોતે ભાવરુપ હોવાથી અભાવરુપે એ ક્યાંય નથી હોતો. આ સુંદર અને અત્યંત મહત્વની વાત આ નામને લીધે આપણા અંતરંગમાં ઉતરવી જોઈએ. ‘હે ઈશ્વર મારી મદદ માટે દોડી આવ’ એવું કહેવાની જરુર નથી. કેમકે ‘દોડી આવ’ એટલે આ ક્ષણે એ અહીં નથી. એ બીજી કોઈ જગ્યાએથી દોડી આવવાનો છે. એનો અર્થ એ થયો કે અહીં એનો અભાવ છે. જેનો  અભાવ હોય એને સાદ પાડીને બોલાવા પડે છે, એનું પાચારણ કરવું પડે છે. પણ પરમેશ્વરનું નામ જ મૂળ શું છે? તો ‘ૐ ભાવાય નમ:’. ‘ૐ ભાવ:’ એટલે એ અસ્તિત્વરુપે છે. માટે એ અભાવરુપે કદી હોઈ જ શકે નહીં. આ એક અત્યંત મહત્વની વાત આપણને આ નામ સમજાવે છે.

ક્ર્મશઃ

author avatar
Aniruddha Premsagar
Scroll to top